કુદરતી અને માનવસર્જિત આફતો સામે પૂર્વતૈયારીની સ્થિતિ

રૂપલબહેન-રાજેન્દ્રભાઇ દેસાઇ
કચ્છના ધરતીકંપને 26 જાન્યુઆરી-2012ના રોજ 11 વર્ષ પૂરાં થશે. તે નિમિત્તે આફત સામે આપણી પૂર્વતૈયારી શું છે એ વિચાર આવે. ડીઝાસ્ટર ઉપર કામ કરતી સંસ્થા એન.સી.જી.ડી.પી. દ્વારા ચરખા-મિટિંગ હૉલમાં 24 જાન્યુઆરીના રોજ એક પત્રકાર પરિષદ યોજાઇ હતી.'એનસીપીડીપી' સંસ્થા દ્વારા યોજાતી કડિયા તાલીમોની અસરો વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. શું હાલમાં ગુજરાતમાં થઇ રહેલાં બાંધકામો ભૂકંપપ્રુફ છે? ઍન્જિનિઅરના પ્લાન પ્રમાણે જ સ્થાનિક કૉન્ટ્રાક્ટરો અને કડિયાઓ ધરતીકંપ તેમ જ વાવાઝોડા સામે ટકી રહે તેવાં બાંધકામ કરી રહ્યા છે? હમણાં જ સિક્કિમમાં સ્થાનિક કૉન્ટ્રાક્ટરોએ બાંધેલાં બહુમાળી મકાનો ઓછા રિક્ટર સ્કેલના ધરતીકંપમાં પણ તૂટી પડે એવાં જોખમી છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ જુદી નથી. સિક્કીમમાં સપ્ટેમ્બર 2011ના ભૂકંપે દર્શાવ્યું છે કે, સ્થાનિક કોન્ટ્રાક્ટરોએ એન્જિનીયરોના કોઇ પણ જાતના સલાહ-સૂચનોને બાંધેલા આર.સી.સી.નાં બહુમાળી મકાનો નાના એવા ભૂકંપમાં સહેજ પણ ટકી શકતા નથી. ગુજરાતમાં પરિસ્થિતિ આવી જ છે. નાના શહેરોમાં આજ રીતે ઘણાં મકાનોનું ભૂકંપ પ્રતિરોધક બનાવવા માટે એન્જિનીયરની સલાહ વગર જ બાંધકામ થાય છે. પાડોશના પ્લોટમાં ચાલતા ઊંડા ખોદકામના કારણે બાજુમાં ઊભેલા જે મકાનો પડી જાય છે. એનું શં? થોડાક વર્ષો પહેલા અમદાવાદનાં કાળુપુર વિસ્તારમાં શાકુંત હોટેલ તેમ જ 14 ડીસેમ્બર 2011નાં રોજ સુરતમાં બીજું એક મકાન આ કારણે જ ધરાશાયી થયું હતું. શું આ એવું નથી દર્શાવતા કે મકાન તેમ જ લોકોની સુરક્ષીતતા સાચવવા માટેની સાચી બાંધકામ પદ્ધતિનો સરેઆમ ઉલ્લંઘન થાય છે? શું એવું ફલિત નથી થતું કે એન્જિનીયર જેમની આવી ભુલો ન થાય એ જોવાની સંપૂર્ણ જવાબદારી હોય છે. એ જ બાંધકામની ખોટી પદ્ધતિ તરફ આંખ મીચામણા કરે છે.

વાંચો વધુ...

"વાસ્તવમાં વિકલાંગ કોણ?"

'હેન્ડિકેપ નહીં', 'ડિફરન્ટલી એબલ્ડ' શબ્દ વાપરો: વિજય વછાણી 
- હિમાલી સિધ્ધપુરા 
"વિકલાંગ વ્યક્તિની આવડત અને આત્મવિશ્વાસ જોઈને મને એવું લાગવા માંડે છે કે, વાસ્તવમાં એ લોકો નહીં પણ આપણે વિકલાંગ છીએ, કારણ કે આપણી સરખામણીએ તેઓ વધુ કાર્યક્ષમ અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે." આ શબ્દો છે, વેરાવળની રેયોન કંપની (બિરલા ગ્રુપ)માં ઉપરી ગ્રામ વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા વિજય વછાણીનાં!  
ચહેરા પર મધુર સ્મિત સાથે સૌને આવકારતા, તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા ધરાવતા અને છતાં ઋજુ હૃદયના વિજય વછાણીએ સિવિલ ઍન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ શરૂઆતથી જ તેમને બાંધકામ ક્ષેત્ર સાથે વળગણ હતું અને ભવિષ્યમાં પણ એ જ ક્ષેત્રમાં આગળ વધવાની તેમની આકાંક્ષા હતી. વળી, નાનપણથી જ ગામડાંના લોકો માટે કામ કરવાની તેમની તીવ્ર અભિલાષા પણ ખરી! અભ્યાસ પૂર્ણ થયા બાદ તેમણે આ ક્ષેત્રમાં પ્રથમ કદમ હજુ તો માંડ્યુ જ હતું અને ત્યાં જ તેમને આ ક્ષેત્રની કડવી વાસ્તવિકતાનો પરચો મળી ગયો. તેમની સૌ પ્રથમ નોકરી કાકરાપારમાં હતી. ત્યાં 132 સરકારી આવાસો તૈયાર કરવાનું કામ હતું. ભ્રષ્ટાચારનો સૌપ્રથમ અનુભવ તેમને અહીં થયો. ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર દ્વારા લોકો સાથે ત્યાં છેતરપીંડી કરવામાં આવતી હોવાથી તેમને ત્યાં મન ન લાગતાં ત્યાંથી અન્યત્ર ખસી જવાનો વિચાર કર્યો. આ જ સમયગાળા દરમિયાન તેઓ 'આગા ખાન ફાઉન્ડેશન'ની નેત્રંગ ઑફિસમાં જોડાયા. અહીં પોતાના ક્ષેત્રના અનુભવને વિસ્તારવા માટે તેમને પુરતી તક સાંપડી. ત્યાંનો અનુભવ વર્ણવતા તેઓ કહે છે, "હું ત્યાં અનેક નવા પ્રોજેક્ટ્સનાં પ્રયોગો કરતો. બ્રિક્સથી બાયોગેસ બનાવવાના બદલે કોંક્રિટથી બાયોગેસ બનાવવાના પ્રયોગો પણ મેં કરેલા છે. વળી, લોકો માટે કામ કરવાથી જે સંતોષ મળે એ જ મારો સૌથી મોટો પુરસ્કાર છે." નેત્રંગની ઑફિસ બાદ તેઓ વેરાવળની બિરલા ગ્રુપની રિયોન કંપનીમાં જોડાઇને 'જનસેવા ટ્રસ્ટ'ના માધ્યમ થકી કામગીરી કરી રહ્યા છે. તેમના માટે વ્યક્તિગત કરતા 'જનસેવા ટ્રસ્ટ' વધુ મહત્ત્વનું છે. તેઓ શિક્ષણ, સ્વાસ્થ્ય, ખેતી વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં સામાજિક કાર્યો દ્વારા લોકો સુધી પહોંચ્યા છે. વિકલાંગો માટે ઉપાડી લીધેલા કામ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, " સૌપ્રથમ અમે સંપૂર્ણ વેરાવળનો સર્વે કર્યો, બધી માહિતી ભેગી કરી. ત્યારબાદ બધાને પત્રો લખ્યા અને પ્રમાણપત્રો તૈયાર કર્યાં. ત્યારપછી પાંચ સભ્યોની સુપરવાઈઝરની ટીમ બનાવી અને 101 ગામોમાં કામ વહેંચી દીધું." અત્યારે વિજયભાઈ અને તેમની ટીમે મુખ્યત્વે તો 25 ગામોમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને પાંચ ગામોને દત્તક લીધાં છે. આ ગામો સૌથી ગરીબમાં ગરીબ હતા. પહેલાં તો ત્યાંથી અંધશ્રદ્ધા દૂર કરવામાં આવી. અને હવે આજે ત્યાં મેડિકલ ઑફિસરો જતા થયા છે. વિકલાંગ વ્યક્તિઓ માટે 'હૅન્ડિકેપ્ડ' નહીં પરંતુ 'ડિફરન્ટલી એબલ્ડ' એવો શબ્દ વાપરવાનું વિજયભાઈ ભારપૂર્વક જણાવે છે, કારણ કે તેમના જણાવ્યા અનસાર લગભગ દરેક વિકલાંગ વ્યક્તિમાં કોઈને કોઈ આવડત હોય છે, માત્ર તેને સાચો માર્ગ આપવાની જરૂર હોય છે. વિકલાંગો માટે કામ કરતી સંસ્થા 'હેન્ડિકેપ ઇન્ટરનેશનલ' પાસેથી પ્રેરણા મેળવી પોતાની આવડતને જુદાંજુદાં કાર્યોમાં આવરી લીધી છે. બાળકો, સ્ત્રીઓ અને પુરુષોની સમસ્યાને પણ સમજવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવે છે. દરેકની અલગ-અલગ સમસ્યાઓ અને પરિસ્થિતિ મુજબ તેમની રીતે સમજી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. લોકો સુધી પોતાનો સંદેશો પહોંચાડતા વિજયભાઈ કહે છે કે, "લોકોએ પોતાનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. અત્યારે આપણે જે હોદ્દા પર છીએ તેની જ માત્ર કિંમત છે. તે પછી આપણું કોઈ અસ્તિત્વ નથી. તો શા માટે તે હોદ્દાના વધુમાં વધુ ઉપયોગ દ્વારા માનવ સેવાનું કામ ન કરી લઈએ!" વિજયભાઈનું સપનું છે કે આ હોદ્દા પરથી જે કાર્ય દ્વારા આગળ વધવાની તક મળે તેના દ્વારા બને તેટલા વધુ લોકો સુધી પહોંચી તેમને મદદરૂપ થવું છે.

વાંચો વધુ...

રિહેબિલિટેશનમાં માસ્ટર થવાનું મારુ સ્વપ્ન છે: બીનલ

સમુદાય આધારિત પુનર્વસન અંગેની તાલીમથી ડૉ. બીનલ ગજ્જરનું ફલક વિસ્તર્યું 
- સંજય દવે 
એમનું નામ બીનલબહેન ગજ્જર. સરળ સ્વભાવની આ યુવતીને તમે મળો તો એ ફિઝિયોથેરાપી ડૉક્ટર હોવાનો અણસાર પણ ના આવે એટલાં એ સરળ. અમદાવાદના વેજલપુર વિસ્તારનાં રહેવાસી. તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી અમદાવાદની વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલના પ્રાંગણમાં આવેલી ફિઝિયોથેરાપી કૉલેજમાં જુનિયર લેક્ચરર તરીકે ફરજ બજાવે છે. કરમસદની કૉલેજમાંથી ફિઝિયોથેરાપીની ડિગ્રી મેળવ્યા પછી તેમણે ફિઝિયોથેરાપિસ્ટ તરીકે અમદાવાદમાં આવેલા વસંત નેચર ક્યોરમાં અને પછી લપકામણમાં આવેલી 'એઈમ્સ' ફિઝિયોથેરાપી કૉલેજમાં એકાદ વર્ષ કામ કર્યું. વી. એસ. હૉસ્પિટલમાં આવેલી તેમની કૉલેજમાં બે વર્ષ પહેલાં એક વાર 'હૅન્ડિકેપ ઇન્ટરનેશનલ' (એચઆઈ) સંસ્થાના પ્રતિનિધિઓ મળવા આવ્યા. તેમણે કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. નીતા વ્યાસ સાથે વિકલાંગતાના મુદ્દા તેમ જ સમુદાય આધારિત પુનર્વસન (સીબીઆર) અંગે ચર્ચા કરી. ત્યારપછી 'એચઆઈ'ના નેજા હેઠળ બેંગલોરમાં યોજાયેલી સીબીઆર મેનેજરો માટેની એક તાલીમમાં ભાગ લેવાની બીનલબહેનને તક મળી.
બીનલબહેન કહે છે, "રિહેબિલિટેશન ટાસ્ક ફોર્સ તૈયાર કરવાના ભાગ રૂપે 'એચઆઈ' દ્વારા યોજાયેલી આ તાલીમમાં ભાગ લેવાની તક મને અમારી કૉલેજના પ્રિન્સિપાલ નીતાબહેને આપી." બીનલબહેને આ તક ઉત્સાહભેર વધાવી લીધી. સાત દિવસની આ તાલીમમાંથી એમને ઘણું નવું શીખવું હતું અને ખાસ તો સીબીઆર વિશે વધારે જાણકારી મેળવવી હતી. આ તાલીમમાં સહભાગી થવાથી બીનલબહેનની કામગીરીનું ફલક વિસ્તર્યું. તે અંગે બીનલબહેન કહે છેઃ "રિહેબિલિટેશનની થિયરી તો મને ખબર હતી, પણ તાલીમ દરમ્યાન મને બૅંગલોરની હૉસ્પિટલમાં પ્રેક્ટિકલ જ્ઞાન મળ્યું. રિહેબિલિટેશનમાં માત્ર મેડિકલ મેનેજમેન્ટ નહીં, પણ વ્યક્તિના સામાજિક-આર્થિક પાસાંને પણ ધ્યાનમાં લેવા જ જોઈએ એ આ તાલીમે મને શીખવ્યું."તાલીમમાં મેળવેલું જ્ઞાન બીનલબહેનને પોતાના વર્ગમાં કામે લાગ્યું. તેમણે માત્ર એકતરફી પ્રવચનને બદલે પોતાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવાનું શરૂ કર્યું. તાલીમ પછી બીનલબહેન માટે ભણાવવાનું અને વિદ્યાર્થીઓ માટે ભણવાનું વધુ રસપ્રદ બન્યું. એટલું જ નહીં, શિક્ષણ કાર્યની સાથે સામાજિક વિકાસ સાથેનો તેમનો નાતો પણ વધારે મજબૂત બન્યો. 'એચઆઈ' દ્વારા બીનલબહેનને જુદીજુદી કાર્યશાળાઓમાં ફેસિલિટેટર એટલે કે તાલીમકાર તરીકે પોતાના જ્ઞાન અને અનુભવો રજૂ કરવાની તક સાંપડી. પરિણામે, બીનલબહેનમાં આત્મવિશ્વાસનો સંચાર થયો. બીનલબહેને 'એચઆઈ' સાથે રહીને અમદાવાદ, સુરત, નવસારી અને ડાંગમાં જઈને પણ મેડિકલ ઑફિસરોને 'સીબીઆર' અંગેની તાલીમો આપી છે. રિહેબિલિટેશન વિષયમાં માસ્ટર થયેલાં ડૉ. મેઘા શેઠ કહે છે, "બીનલે તાલીમ લીધી પછી તેનું જ્ઞાન બધાને ખૂબ ઉપયોગી થાય છે. એક શિક્ષક તરીકે પણ તે ખૂબ અસરકારક નીવડી છે. અમને હવે સીબીઆર બાબતે કોઈ ક્વેરી હોય તો અમે બીનલને જ યાદ કરીએ છીએ." બીનલબહેનની કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. નીતા વ્યાસ કહે છે, "તાલીમમાંથી મેળવેલી શીખનું સીધેસીધું અમલીકરણ થઈ શક્યું. હવે બીનલમાં પેશન્ટને જોવાની દૃષ્ટિમાં પણ હકારાત્મક બદલાવ આવ્યો છે. તાલીમને કારણે બીનલની વિચારધારા કેળવાઈ." કોઈકને ખોટી સારવારને કારણે વિકલાંગતા વધી ગઈ હોય ત્યારે બીનલબહેન ખૂબ દુઃખી થઈ જાય છે. તેઓ કહે છે, "પહેલાં હું 'ડિસ-એબિલિટી' જોતી, હવે હું 'એબિલિટી' જોઉં છું." બીનલબહેનને તેમના પરિવાર તરફથી પણ ખૂબ સહયોગ મળે છે. સર્વસમાવેશી વિકાસની તરફેણ કરતાં બીનલબહેનનું સ્વપ્ન રિહેબિલિટેશનમાં માસ્ટર ડિગ્રી મેળવવાનું છે.

વાંચો વધુ...

ચરખાના વર્ષ ૨૦૧૦-૧૧ના નાણાકીય વર્ષનો હિસાબ

વાંચો વધુ...