"જે મનુષ્યની માલિકીની બધી વસ્તુઓ આંચકી લેવાઈ ગઈ હોય; જેનાં માતા-પિતા-પત્ની-ભાઈની ગેસ-ચેમ્બરમાં ગૂંગળાવીને હત્યા કરવામાં આવી હોય;જેનું સર્વસ્વ છીનવાઈ ગયું હોય;જે ભૂખ અને ઠંડીમાં મજૂરી અને ક્રૂરતાભર્યા અત્યાચારો સહન કરતો હોય;દર કલાકે જેના માથે મોતની તલવાર લટકતી હોય- વર્ષો સુધી આવી પરિસ્થિતિમાં રહેનાર મનુષ્યને જીવન જીવવા જેવું લાગે ખરું? "
આટલી વાત વાંચીને જ મોટાભાગના લોકો જવાબમાં ના જ પાડે.પણ આ વાત નોખી માટીના માનવીની છે. તેણે હા પાડી ! એટલું જ નહિ, જિંદગી સાચા અર્થમાં જીવી પણ બતાવી. ઉપરાંત, અન્ય લોકોને પણ જીવવા માટે બળ પૂરું પાડ્યું તે તો અલગ. અન્ય લોકો પોતાની જિંદગી માટે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવે તે માટે પોતાના ભયંકર અનુભવોને તથા તેમાંથી કેવી રીતે પસાર થયા તેની વાત પુસ્તકરૂપે પ્રકાશિત પણ કરી.
શરૂઆતમાં વર્ણવેલી પરિસ્થિતિ ક્યાંની છે તે પ્રશ્ન સહેજે થાય. જેનું નામ સાંભળતાં જ રૂવાડાં ખડાં થઈ જાય એવી જગ્યાની આ વાત છે - કોન્સ્ટ્રેશન કેમ્પ! આ શબ્દ સાંભળતાં જ હિટલર અને તેના અત્યાચારો યાદ આવી જાય. અમાનુષી અત્યાચારોમાંથી પસાર થવા છતાં માનવતાવાદી અને હકારાત્મક વલણ જાળવી રાખનાર વિરલ વ્યક્તિત્વ એટલે ડો.વિક્ટર ફ્રેન્કલ. કોન્સ્ટ્રેશન કેમ્પના અનુભવોને તેમણે ’મેન્સ સર્ચ ફોર મીનિંગ.’નામનાં પુસ્તકરૂપે લોકો સુધી પહોંચાડ્યા.જેને ’જવાબ માગે છે જિંદગી’ના નામે ગુજરાતી વાચકો સુધી પહોંચાડનાર છે શ્રી સંજીવ શાહ.
કોન્સ્ટ્રેશન કેમ્પના અનુભવો તથા ફોટાઓ ધરાવતાં આ પુસ્તકને એકીબેઠકે પૂરું કરી શકાય તે શકય નથી.કેમકે ભીની થતી આંખો આપણને સળંગ વાંચતાં અટકાવે છે. યુરોપના નામાંકિત મનોચિકિત્સક ડો. ફ્રેન્કલે પોતાની જિંદગીના એકદમ ભયાનક સમયને કઈ રીતે પસાર કર્યો અને સાથેના કેદીઓને સધિયારો આપ્યો,કેમ્પમાં લોકો ઉપર થતા અત્યાચારો - આ બધું વર્ણન વાંચનારની આંખો જ નહિ,હ્રદય પણ ભીજવી નાખે છે.
સદનસીબે તેઓ આ કેમ્પમાંથી જીવતા બહાર આવી શક્યા. અને ’મેન્સ સર્ચ ફોર મીનિંગ.’ નામનાં પુસ્તકમાં તેમણે ’લોગોથેરાપી’ નામની નવી ચિકિત્સાપદ્ધતિની રજૂઆત કરી.આ પુસ્તક્ને તેમણે ત્રણ ભાગમાં વહેંચ્યું છે :
૧. કોન્સ્ટ્રેશન કેમ્પના અનુભવો
૨. લોગોથેરાપીનો ટૂંકો પરિચય.
૩.કરુણતામાં પણ આશાવાદનું મહત્વ.
’જવાબ માગે છે જિંદગી’માં મુખ્યત્વે પહેલા ભાગનો જ આધાર લેવામાં આવ્યો છે. જીવન વિશેના અભિગમોને ખૂબ સરસ અને સરળ રીતે સમજાવવામાં આવ્યા છે.માનવતા,જીવન પ્રત્યે આશાવાદી અભિગમ, મુશ્કેલીઓમાંથી ઉપાયના વિકલ્પો શોધવા,ગુનેગારને ક્ષમા આપવાનું ઉદારતાવાદી વલણ- જીવનના દરેક પગલે જરૂર પડે તેવા વિચાર અને વર્તનની વાત અહીં કરી છે.સહુથી આગવો વિચાર આ પુસ્તક આપે છે કે જીવન કેવી રીતે જીવવું તેની પસંદગી ખુદ વ્યક્તિના હાથમાં જ છે.પ્રેમ, ધિક્કાર, એકલતા, સભરતા, હકારાત્મકતા, નકારાત્મકતા, આશા, નિરાશા - આ બધી પરિસ્થિતિઓ આપણી સામે છે. તેમાંથી શું પસંદ કરવું તે નિર્ણય આપણો છે. તે નિર્ણય મુજબ જ આપણું જીવન ઘડાય છે.
અત્યારે ધર્મ,કોમ,વિસ્તાર એમ જાતજાતના વાડામાં માનવ પોતે માનવ છે તે સાવ ભૂલી ગયો છે.તેની સામે વાસ્તવિકતા મૂકતી એક રચના વિચારતા કરી મૂકે તેવી છે:
જ્યારે નાઝીઓ સામ્યવાદીઓને પકડી ગયા,
ત્યારે હું ચૂપ રહ્યો-કારણ કે હું સામ્યવાદી નહોતો.
જ્યારે નાઝીઓએ ડેમોક્રેટ્સને કેદ કર્યા
ત્યારે હું ચૂપ રહ્યો-કારણ કે હું ડેમોક્રેટ નહોતો.
જ્યારે નાઝીઓએ વ્યાપારી સંઘોના સભ્યોની ધરપકડ કરી,
ત્યારે હું ચૂપ રહ્યો-કારણ કે હું આ સંઘોનો સભ્ય નહોતો.
જ્યારે નાઝીઓએ યહૂદીઓને કેદ કર્યા
ત્યારે પણ હું ચૂપ રહ્યો-કારણ કે હું યહૂદી નહોતો.
પછી જ્યારે નાઝીઓ મને પકડવા આવ્યા,
ત્યારે હું કશું કરી ના શક્યો -
કારણ કે મારો બચાવ કરનારું કોઇ બચ્યું નહોતું.
આ રચનાને ભારતના સંદર્ભમાં ધર્મો,જાતિઓ,જાતિઓના પેટાપ્રકારો વગેરેનાં નામ ગોઠવીને વાંચીએ ત્યારે એ ભયાનક વાસ્તવિકતા છતી થાય છે કે આપણને બચાવનારું પણ કોઇ બચ્યું નહી હોય. કેમ કે આપણે પણ ચૂપ રહેનારાઓમાંના જ છીએ.
’જવાબ માગે છે જિંદગી’
-સંજીવ શાહ.
પ્રકાશક : ઓએસિસ સેલ્ફ લીડરશીપ એજ્યુકેશન ફોર કોમ્યુનીટી ડેવલપમેન્ટ,
વડોદરા.
કિમત : રૂ. ૧૬૪/-
અત્યાચારો વચ્ચે પણ પ્રેમની અનુભૂતિ.....
સૌરઊર્જાનો ઉપયોગ અમદાવાદનું વીજબિલ ઘટાડશે
શહેરમાં ગોઠવેલી વિવિધ સ્ટ્રીટલાઈટનું બિલ ઘટાડવા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ સક્રિયદા દાખવી છે અને લગભગ 60 ટકા જેટલું બિલ ઘટાડવા માટે તેઓ પ્રયાસ કરશે. એએમસીના વીજળીના કુલ બિલમાં 40 ટકા રકમ તો સ્ટ્રીટલાઈટની હોય છે. જો આ બિલમાં ઘટાડો કરાય તો લોકોના કરરૂપે ભરાયેલાં નાણાંનો યોગ્ય ઉપયોગ થશે.
એક અંદાજ મુજબ એએમસીની હદમાં આવેલી તમામ સ્ટ્રીટલાઈટનું એકલાનું જ બિલ દર મહિને રૂ. એક કરોડ આવે છે. જો એએમસીની યોજના સારી રીતે પાર પડે તો તેઓ રૂ. 40 લાખ બચાવી શકશે. લાઇટિંગ ડિઝાઈનનો વેપાર કરતી કંપની ફેડકો ઇન્ડિયાના મુફદલ દારૂખાનાવાલાએ કહ્યું હતું કે અમે એએમસીના અધિકારીઓ સાથે મંત્રણાઓ કરી રહ્યા છીએ. અમે શહેરમાં પાઇલોટ પ્રોજેક્ટના એક ભાગરૂપે શહેરમાં લાઈટો ફિટ કરીશું. હાલની લાઈટ સિસ્ટમના પ્રમાણમાં અમારી લાઈટ સિસ્ટમ વધુ કરકસરયુક્ત અને વધુ રોશની ફેલાવે છે. તેમણે કહ્યું હતું કે સામાન્ય રીતે શહેરના માર્ગો પર સોડિયમ લાઈટ જ નાખવામાં આવે છે. 40 વોટના બલ્બમાંથી 150 વોટના બલ્બ જેટલો પ્રકાશ આવે છે.
એએમસીના અધિક કમિશનર એ. સી. શાહે કહ્યું હતું કે હાલની જાહેર વીજપદ્ધતિને બદલે અમે જે નવી લાઈટો નાખીશું તે વધુ કરકસરયુક્ત અને વધારે પ્રજ્જવલિત હશે. અમે સૌરઊર્જાનો ઉપયોગ કરીને એએમસીના વીજબિલને ઘટાડીશું. વિશ્વના તમામ નિષ્ણાતો પણ માને છે કે વીજળીનું ભવિષ્ય સૌરઊર્જામાં જ છે. હવે 'લેડ' લાઈટથી લોકોએ કામ ચલાવવું પડશે.
દારૂખાનાવાલાએ કહ્યું હતું કે હવે તો મોટા મોટા બિલ્ડરો અને રિયલ્ટી એસ્ટેટ પણ આ જ સિસ્ટમનો ઉપયોગ કરે છે. 'આ સિસ્ટમ અને ટ્ક્નોલોજી અમારા આગમી પ્રોજેક્ટમાં ખૂબ જ કામ લાગશે.' એમ જાણીતા બિલ્ડર જક્ષય શાહે કહ્યું હતું. જાણીતા આર્કિટેક્ટ યતીન પંડ્યાએ કહ્યું કે ઘરો, ઓફિસો અને જાહેર માર્ગો પર વપરાતી વીજળીને ઘઠાડવાના બે ઉપાય છે. એક તો યોગ્ય રીતે એનો ઉપયોગ થાય અને બીજું કે આપણી ટેક્નોલૉજીમાં સુધારો કરાય. જો આપણે સુધારો કરી શકીશું તો વીજબચત કરાશે. (જુદા જુદા સમાચાર પત્રોમાંથી સંકલન)
આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા તાપી જિલ્લાના સોનગઢ ખાતે સાંસ્કૃતિક મેળો યોજાયો
પોતાના કળા-કૌશલ્યની અભિવ્યક્તિ કરી
પરંપરાગત પોશાકમાં સજ્જ આદિવાસી ભાઈઓ-બહેનો અને બાળકોએ મેળામાં ગૌરવભરી આદિવાસી સંસ્કૃતિની ઓળખ ઊભી કરી. મેળા દરમ્યાન તીરકામઠાં, ગીલોલ, પાવરી, વાંસળી, ઢોલ, ડોવડું, નાચણું તેમ જ પહેરવેશ જેવી હરિફાઈઓ યોજાઈ.
આદિવાસી મહામંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, આદિવાસી સર્વાંગી વિકાસ સંઘો તેમ જ શક્તિ ટ્રસ્ટ-કાનૂની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર-સોનગઢ દ્વારા યોજનારા આ મેળામાં આદિવાસી સમાજના જુદા જુદા પ્રશ્નોને વાચા આપવા એક નાટક પણ ભજવાયું. વૈવિધ્યસભર નાચ, જુદાજુદા પ્રકારના ઢોલ-વાદન તેમ જ લોકગીતોથી મેળામાં ઉત્સવનો માહોલ સજાર્યો.
મેળા દરમ્યાન શેરડી કામદારોના પ્રશ્નો અંગે શક્તિ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા એક નાટકની રજૂઆત થઈ હતી. ઉપરાંત, કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવોને આદિવાસી વિસ્તારના મહત્ત્વના વિકાસલક્ષી મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે આવેદન પાઠવવામાં આવ્યું હતું.
આ સાંસ્કૃતિ મેળામાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્ર સરકારના આદિજાતિ કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી તુષાર ચૌધરી અને અતિથિ વિશેષ તરીકે તાપી જિલ્લાના કલેક્ટરશ્રી સી. એમ. બલાત ઉપસ્થિત રહ્યા. ઉપરાંત, સ્થાનિક સરકારી તંત્રના અધિકારીઓ અને રાજકીય પક્ષોના પ્રજાપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
વાંચો વધુ...
આવાસ નિર્માણને ખાસ દૃષ્ટિબિંદુથી સમજવા માટે લોકઆવાસ યાત્રા યોજાઈ
આદિવાસી વિસ્તારમાં પણ આવી યાત્રા યોજવી જોઈએ: તિવારી
બેઝીન સાઉથ એશિયા નેટવર્ક, ઉન્નતિ અને સેવા સંસ્થાના સંયુક્ત પ્રયાસથી તા.17 થી 21 જાન્યુઆરી, 2010 દરમ્યાન કચ્છ-સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં યોજાઈ ગયેલી યાત્રામાં સરપંચો, પંચાયત પ્રતિનિધિઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ અને બચતજૂથનું નેતૃત્વ કરનારી મહિલાઓ વગેરે મળીને 100થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
લોક આવાસ યાત્રાના અનુભવોની આપ-લે માટે તમામ યાત્રીઓ જાન્યુઆરી 21, 2010ના રોજ અમદાવાદમાં સેપ્ટ યુનિવર્સિટી ખાતે એકઠા થયા હતા. અહીં ખાસ વિશેષજ્ઞ વ્યક્તિઓએ તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. સેપ્ટના ડાયરેક્ટર શ્રી આર. એન. વકીલ સાહેબે આ પ્રયત્નની પ્રશંસા કરી હતી અને સેપ્ટને આ પ્રક્રિયામાં જોડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રથમ સત્રમાં ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે આદિવાસી વિભાગના સેક્રેટરી શ્રી એ. એમ. તિવારી (આઈએએસ)એ હાજર રહીને આદિવાસી વિસ્તાર માટે રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા દસ મુદ્દાના કાર્યક્રમની જાણકારી આપી હતી. તેમણે આદિવાસી પ્રજાના વિકાસ માટે આવાસની ભૂમિકા તથા આવાસની સહાય પૂરી પાડવા માટે સરકારે ઘડેલા નીતિનિયમો તથા મોનિટરિંગ પદ્ધતિની વિગતવાર સમજ આપી હતી. તેમણે આવી યાત્રા આદિવાસી વિસ્તારમાં કરવા અંગે પણ સૂચન કર્યું હતું. એનસીપીડીપી સંસ્થાના વડા અને ટેક્નોક્રેટ શ્રી રાજેન્દ્ર દેસાઈ તથા શ્રી સુરેખાબહેને બાંધકામ ક્ષેત્રે 'ઊજાર્ બચાવનો કન્સેપ્ટ' કઈ રીતે લાગુ પાડી શકાય અને તે કેટલો સુસંગત છે તે અંગે વિસ્તૃત સમજ આપી હતી.
સેવા પ્રેરિત 'સેવા નિર્માણ'ના શ્રી નીતાબહેન પટેલે, સેવાની સહાયથી ભૂકંપ પછી પુનર્વસન માટે આવાસ નિર્માણ પ્રક્રિયાને વેગવંતી બનાવવાના જે પ્રયત્નો કરવામાં આવેલા તે અંગે અમલીકરણ દરમ્યાન ઊભા થયેલા પ્રશ્નો અને તેનાં નિરાકરણ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનના પ્રતિનિધિ શ્રી અનઘા મહાજનીએ કારીગરોની બાંધકામ પદ્ધતિ અંગે જાગૃતિ વધારવા માટે થયેલા સંસ્થાકીય પ્રયત્નો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. ઉન્નતિ સંસ્થાના ડાયરેક્ટર શ્રી બિનોય આચાર્યએ સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી અને આગળની દિશા કેવી હોઈ શકે તે અંગે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. યાત્રા દરમ્યાન લોકોની મુલાકાતની એક ટૂંકી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.
આ યાત્રાના અનુભવો અને જાણકારીનો ઉપયોગ કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર થઈ રહેલી 'ગ્રામીણ આવાસ નીતિ'માં ફેરફારો સૂચવવા માટે ખૂબ ઉપયોગી થશે. પરંપરાગત બાંધકામ પદ્ધતિઓમાં થોડોક સુધારો કરી તેનો વ્યાપ વધારવાની જરૂર છે એમ યાત્રામાં ઉપસ્થિત પ્રતિનિધિઓનું મંતવ્ય હતું.
વાંચો વધુ...